Jan Jagruti work

જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ આફત ને અવસરમાં બદલીએ’ વિષય પર સરદારધામ-પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ માર્ગદર્શન આપ્યું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ આફત ને અવસરમાં બદલીએ’ વિષય પર વેબીનાર યોજાયો હતો. કોવીડ-19ના આ કપરાં સમયમાં જ્યારે વિશ્વસ્તરે મંદીનો મહોલ છે ત્યારે હતોત્સાહ અને નાસીપાસ થયેલા યુવાનોને મોટીવેટ કરવાના ઉમદા હેતુથી આ વેબીનારનું આયોજન કરાયું હતું. જેનો લાભ સેંકડો યુવા ઉદ્યોગકારોઍ લીધો હતો. Surat GPBO

સાંપ્રત પરિસ્થતિમાં જ્યારે દેશ અને દુનિયા પર કોરોના રૂપી આફત આવી પડી છે ત્યારે આ આફત ને કઈ રીતે અવસરમાં બદલી શકાય તે વિષય પર સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા દ્વારા અસરકારક, સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. ગગજીભાઇ પોતે એક એવું વ્યક્તિત્વ છે જે મુંબઈ ખાતેની 700 કરોડનો એક્સપોર્ટ કરતી કંપની છોડી રાષ્ટ્ર, સમાજ અને યુવાનોના સર્વાગી વિકાસ માટે કામ કરવાનાં પોતાના સપના સાકાર કરવા 2010માં અમદાવાદ સ્થાયી થયાં. ત્યાં આવ્યા બાદ તેમણે રાત- દીવસ જોયાં વગર અઢળક મુશ્કેલીઓની વચ્ચે 2012માં એમનાં સપના સમાન ‘સરદારધામ’ની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. સરદારધામ ની જેમ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમગ્ર પાટીદાર માટે ખાસ કરીને યુવાધન માટે તેમણે શૈક્ષણીક અને આર્થિક અભિયાન ઉપાડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમનું સમગ્ર જીવન આગેવાન કેવાં હોવાં જોઇએ તેનું એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવું છે. તેમનો જોશ, જુસ્સો, હામ કોઇપણ યુવાનને શરમાવે એવાં છે. તેમનું આખું જીવન સરદારધામને સમર્પિત કર્યુ હોવા છતાં એ પોતાને સંસ્થાના આગેવાન કે ટ્રસ્ટી તરીકે નહીં પરંતુ સેવક તરીકે ઓળખાવામાં વિશ્વાસ રાખે છે ત્યારે યુવાનો તેમને પોતાના રોલમોડેલ અને આજનાં યુગના સરદાર માને તે ખરેખર યોગ્ય જ છે. માત્ર ચાર ચોપડી ભણ્યા હોવા છતાં તેમનું ગણતર, સૂઝબૂઝ,આત્મવિશ્વાસ, સમયની સાથે નવું નવું શીખતાં રહેવાની તત્પરતા એમનાં આગવા ગુણો છે.

મારાં હીરલાં, તારલાં અને અંબાણી મિત્રોના સંબોધનથી જ્યારે ગગજીભાઈએ એમના વક્તવ્યની શરૂઆત કરી ત્યારે વક્તવ્ય ચાલુ કર્યા પહેલાં જ યુવાઓના દીલ જીતી લીધાં. તેમણે કહ્યું, સરદારધામ અને જીપીબીઓમાં હંમેશા નામને નહી કામને મહત્વ અપાય છે. એનું મારે મન ગર્વ છે. યુવાનો દેશની આવતીકાલ છે ત્યારે જેમ ક્રીકેટમાં ક્રીકેટર સામેવાળાની બોલીંગને આગળ આવીને ખેલે છે અને ફોર કે સીક્સ લગાવે છે. તેમ તમે પણ આ મુશ્કેલ સમયનો આગળ આવીને નીડરતાથી સામનો કરો. કોઇપણ વેપાર કે ધંધાના સંકલન અને વિસ્તરણ માટે નિર્ભયતા અને હિંમત જરૂરી છે. જીપીબીઓ એક કલ્પવૃક્ષ છે અને ટેક્નોલોજી, આઇડીયાલોજી અને માઇન્ડપાવરથી ગામથી લઈ વિશ્વ સુધીના નાના-મોટા-મધ્યમ ઉદ્યોગકારોને એક્તાથી સમૃધ્ધિ સુધી લઈ જવાનું અભિયાન છે. જીપીબીઓ અને જીપીબીએસ એક સિક્કાની બે બાજુ છે. આગામી 2022ની સમિટ જ્યારે સુરત ખાતે યોજાવાની છે ત્યારે હું આગોતરી આપ સહુને એની સફળતાની શુભકામના પાઠવું છું..

જીપીબીએસના ફાયદા જણાવતાં એમને કહ્યુ કે 2018માં સુરતથી દીપક પટેલ હતા જેમને સમિટમાં કાજુનો સ્ટોલ બુક કરાવ્યો હતો.. તેમણે સમિટ દરમ્યાન સારો એવો બિઝનેસ કર્યો.. તેવી જ રીતે મારાં દીકરાની વાત કરું તો 2020ની સમિટમાં સોસેનો સ્ટોલ બુક કરાવ્યો ત્યારે તેના 3 સ્ટોર હતા. આજની તારીખમાં એના 13 સ્ટોર છે. તેવી જ રીતે ગોપાલ નમકીન, સમર્થ ડાયમંડ,ઓરવા, શીતલ આઇસ્ક્રીમ જેવી કંપનીઓને પણ ફાયદો થયો. સમિટમાં 79% લોકોને સારો બિઝનેસ મલ્યો હતો.. વાવેલું ક્યાંય જતું નથી. ક્યારેક તો ઉગીને બહાર આવે જ છે.

આફત ને અવસરમાં બદલીએ વિષયમાં વધુ માર્ગદર્શન આપતાં એમણે જણાવ્યું કે દરેક આફત અવસર લઇને આવતી હોય છે. આફત એટલે આત્મદર્શન, અવલોકન અને પુર્વતૈયારી માટેનો અવસર,, જેમ રફ ડાયમંડને પોલીશ કર્યા બાદ તે ચમકી ઉઠે છે એમ અત્યારે આપણી પોલીશ થઇ રહી છે. ઘાટ ઘડાઇ રહ્યો છે. એના બાદ આપણે ડબલ ચમકથી ચમકી ઉઠીશું અને નવી ચમક, કોઠાસુઝ, નવી જીવનશૈલી, નવાં વિચારો સાથે એક વર્ષ પછી જે તેજી આવાની છે તેનો ભરપુર લાભ ઉઠાવીશું. એમણે યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે આપના ધંધાના વિસ્તરણ માટે સરદારધામ સાથે જોડાયેલ 387 ટ્રસ્ટીઓમાંથી કોઈપણ જોડે આપનું સંકલન કરવાનું થશે તો સંસ્થા ચોકક્સ આપની મદદ કરશે. પરંતુ એના માટે આપે પણ પુરતી તૈયારી અને લાયકાત કેળવવી પડશે.

યુવાનોને સફળતાનો મંત્ર આપતાં એમણે જણાવ્યું કે યાત્રા-કથા- સત્સંગ-ગુરૂ-મંત્રની પરિભાષા બદલો. યાત્રા કરવી હોય તો સફળ બિઝનેસમેનોની ફેક્ટરીની કરો, એમનાં સફળ જીવનની કરો, કથા કરવી હોયતો રાષ્ટ્રકથા કરો- વિકાસકથા કરો, સત્સંગ કરવો હોયતો વિકાસનો કરો. ગુરૂ બનાવવા હોયતો ટાટા- બીરલા-અંબાણી-ગોદરેજ-Srk-કિરણ જેવી કંપનીઓના સફળ બિઝનેસમેનોને બનાવો. મંત્ર બોલવો હોય તો વિકાસનો મંત્ર બોલો.

જ્યારે હું તમારી વચ્ચે તમારો બનીને આવું છું ત્યારે હું જે અનુસરું છું તે જ જરૂરી મુદ્દા અત્યારે આપની સમક્ષ મુકું છું. જેમકે આપ નિયમિત કસરત-યોગા કરી શરીરને ખડતલ બનાવી આત્મવિશ્વાસ હાંસિલ કરો. પરીવાર અને મિત્રો સાથે સંવાદ કરી હળવાં થાવ. બિનજરૂરી ખર્ચા ઘટાડી સાદી જીવનશૈલી અપનાવો. સફળ બિઝનેસમેનો અને વ્યક્તિઓના જીવનચરીત્ર વાંચો. અલગ-અલગ ધંધો કરતાં અને અલગ-અલગ જ્ઞાતિઓના લોકો રહેતા હોય ત્યાં જઈને વસો. સ્થળાંતરથી ડરો નહીં. ધંધામાં બિનજરૂરી લાગણીઓનો છેદ ઉડાડી દો. બિનજરૂરી વપરાતાં સમયનું ગણીત કરો. દુનીયાની તમામ દુર્ઘટના અને વિઘટનાઓથી અલિપ્ત બની જાવ. તમારાં લક્ષને સાધના બનાવી દો. કોઇપણ ધંધો નાનો-મોટો નથી. જે તક મળે તેને સ્વીકારી લો. ભગવાન બુધ્ધના તારણ પ્રમાણે કોઇ ગુરૂ, ઉપદેશક કે સંસ્થા તમારું ભલું કરવા આવવાના નથી. તમારું ભલું તમારે પોતે જ કરવાનું છે. તમારાં તેજસ્વી આંખોના સપના તમારે જ સાકાર કરવાના છે. 137 કરોડની જનતામાં આપણે ક્યાં? એ સહુએ પોતાને સવાલ કરવાનો છે, લોકો આપણને સારા કામ, સારા વિચાર અને સારી સિધ્ધિથી જ યાદ કરે છે.

યુવાનોને વક્તવ્યના આખરી ચરણમાં સંદેશો આપતાં ગગજીભાઇએ કહ્યું કે તમારાં લક્ષ માટે લાગ્યા રહો અને એમાં સફળ થાવ. હંમેશા ફીટ રહો.. હીટ રહો અને વિકાસની મીટ કરતાં રહો.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *