Jan Jagruti work Seva Social Work

સમસ્ત સાચપરા પરિવાર-સુરત દ્વારા દ્વારકા,સોમનાથ, ખોડલધામમાં યોજાઇ પરિવાર વડીલ યાત્રા.

જિંદગી એ કશું નહીં પરંતુ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે.
યાત્રા હિંદુ અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મહાભારત અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલાં પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત કરવી એવો યાત્રાનો અર્થ થાય છે. જેમાં પૂજા, દર્શન, ઉપાસના, ભજન કીર્તન વગેરે ધાર્મિક કાર્યો કરવાનો સમાવેશ થાય છે, યાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટેભાગે યાત્રાસંઘમાં એટલે કે સમુહમાં કરવામાં આવે છે. ચાલીને યાત્રા કરવી ફળદાયી છે. પરંતુ યાત્રામાં વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં કશો વાંધો નથી.

સુરતમાં રહેતા 22 ગામોનાં સમસ્ત સાચપરા પરિવારના 55 વર્ષથી ઉપરનાં વડીલો એકબીજાને મળે, પરિચિત થાય, ભજન કિર્તન સાથે ધાર્મિક પ્રવૃત્તિ થાય અને યાત્રા યાદગાર બને એ ઉમદા હેતુથી દર વર્ષે સુરતની બહાર વડીલ યાત્રા યોજાય છે. વધુ માહિતી આપતા પરિવાર પ્રમુખ છગનભાઈ બુધેલે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં શક્ય ના હોવાથી ગયા વર્ષે આ યાત્રા યોજાઇ નહોતી. પણ આ વર્ષે કુલ 4 A/c બસોમાં 160 સભ્યો દ્વારા સુરતથી દ્વારકા, સોમનાથ, ખોડલધામ વડીલ યાત્રા યોજાઇ હતી. તા.29-9-2021 બુધવારે સુરત બપોરથી આ યાત્રાએ સુરતથી દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું અને તા. 2-10-2021નાં રોજ સુરત પરત ફરી હતી.

યાત્રા દરમિયાન બસમાં ખંજરી અને કરતાલથી પરિવારનાં વડીલોએ ભજન કિર્તનથી ભવનું ભાથું ભર્યું હતું. વરસાદી કુદરતી વાતાવરણની સાથે દરેક વડીલોએ આનંદની અનુભૂતિ કરી હતી. દાતાશ્રીઓની દિલેરીથી પરિવારનાં વડીલો માટે આ વડીલ યાત્રાનું દર વર્ષે આયોજન થાય છે. જેમાં નાસ્તા,ભોજન, દવા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે હોય છે. ભજન- કીર્તન, ગરબાની રમઝટ તેમજ અન્ય પ્રવૃત્તિઓથી પરિવારનાં વડીલો માટે આ યાત્રા યાદગાર અને અવિસ્મરણીય બની હતી. યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા પરિવારનાં યુવાનોની સ્વયંસેવક ટિમે સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *