Jan Jagruti work Social Work Surat news

બાલાજી વેફર્સ ફાઉન્ડર ચંદુભાઇ વિરાણીએ GPBO સુરતના સભ્યોને પોતાના જીવનના અનુભવો વર્ણવીને માર્ગદર્શન આપ્યું.

*બાલાજી વેફર્સ ફાઉન્ડર ચંદુભાઇ વિરાણીએ GPBO સુરતના સભ્યોને પોતાના જીવનના અનુભવો વર્ણવીને માર્ગદર્શન આપ્યું*

*જીતના બડા સંઘર્ષ હોગા…*
*જીત ઉતની હી શાનદાર હોગી….*

શુન્યમાંથી અસંખ્ય અનુભવો લઇ જેમણે નવું સર્જન કર્યુ છે તેમના માટે આ વાત કહેવાઈ છે. સરદારધામ સંચાલિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) પણ આજે એવી જ રીતે 1 બિઝનેસમેનથી શરૂ કરીને ટુંક જ સમયમાં 15000 બિઝનેસમેન સુધી વિસ્તરેલું સંગઠન બન્યું છે. જેમાં 600થી વધુ સભ્યો દર વીકે રૂબરૂ અથવા તો ઓનલાઇન રેગ્યુલર મીટીંગ કરે છે. ગુજરાતના 4 અલગ અલગ ઝોનમાં તેની 16 વીંગ આવેલી છે. જેમાં બિઝનેસમેન પરસ્પર વેપાર-ઉદ્યોગ કરીને પોતે વિક્સે છે અને અન્યને પણ વિકસાવવામાં ઉપયોગી થાય છે. સુરત ખાતે તેની એમરલ્ડ, સેફાયર, રૂબી અને પર્લ એમ 4 વીંગ છે. GPBO એ એક પરિવાર છે સાથે- સાથે બિઝનેસમેન માટે એવી પાઠશાળા છે જયાં તેઓ શુન્યમાંથી સર્જન કર્યુ છે એવા વ્યક્તિઓ પાસેથી બિઝનેસના પાઠ શીખે છે.
સુરતની સેફાયર વીંગ દ્વારા એવી જ એક ઓનલાઇન બિઝનેસ મીટીંગ કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઇ વિરાણી ( ફાઉન્ડર ઓફ બાલાજી વેફર્સ પ્રા.લી.-રાજકોટ) ઓનલાઇન હાજર રહ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં તેમણે 120 કરતા વધારે બિઝનેસમેનને પોતાના અનુભવના આધારે ધંધાના પાઠ શીખવ્યા હતા. તેમજ પ્રશ્નોતરી દ્વારા પણ ખુબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ચંદુભાઇ વિરાણી મુળ જામનગર જીલ્લાના ધુનધોરાજી ગામના વતની છે. તેમણે પોતાના લાઇફના અનુભવો વર્ણવતા જણાવ્યું કે અમે ગામડામાં હતા ત્યારે વેપાર ન હતો, પણ વિચારો સારા હતા અને ધંધા સ્વરૂપે કામ ખેતી જ હતી. ગામડામાં વરસાદ નહોતો થતો તો ત્યારે અમે ગામ છોડી સુરત જવા નીકળ્યા. રસ્તામાં બગોદરા ગોવિંદભાઈ ખુંટ મળ્યા ત્યાં તેમની કેન્ટીનમાં નોકરી મળી. ત્યાં 8 વર્ષ નમકીન વેચીને વેપાર, પ્રોડક્ટ અને ગ્રાહકનો અનુભવ લીધો. અનુભવ મળ્યો એટલે 1982 માં ગામની જમીન વેચી અને થોડું મોટું કરવાનું વિચાર્યું. શરૂઆતમાં હું જાતે બટાકા લેવા જતો, જાતે તળતો અને જાતે પેક કરતો પછી લોન પર ટેમ્પો લીધો અને માલ દુકાને દુકાને તેમજ બધે જઈને વેચવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે કોમ્પીટીશન આવતી ગઈ, તો ઓટોમેટિક મશીનની જરૂર પડી તો એક મશીન લીધું, તે મશીન પણ બરાબર ચાલ્યું નહિ. 1992 માં પ્લાન્ટ ફેલ ગયો. નિષ્ફળતા મળી તો વિચાર કર્યો કે હવે બધું આપણે જાતે જ કરીએ. વિચાર કર્યો કે સિંગ-દાળિયા ખાઈને જીવી લેશું બાકી ટેન્સન લેવું નથી અને ફરી અમે કામ ચાલુ કર્યું.


વધુમાં તેમણે જણાવ્યું કે ધંધામાં નિષ્ફળતા મળે પણ નિષ્ફળતા મગજ સુધી ન પહોંચવી જોઈએ. 6 મહિના મહેનત કરી અને શીખતા શીખતા અમે જ અને એન્જિનીયર જેવા બની ગયા અને 6 મહિનામાં ફરી બીજો પ્લાન્ટ ઉભો કર્યો. ત્યારબાદ વલસાડ અને ઇન્દોરમાં ફેક્ટરી શરૂ કરી. આજે 12 રાજ્યોમાં બાલાજીનું માર્કેટ છે. અત્યારે 6000 કર્મચારી છે. 1200 ડીલર છે તેની નીચે 12 લાખ દુકાનોમાં બાલાજીનો માલ જાય છે અને કરોડો કસ્ટમર છે. મોડાસાથી ડીસા બાજુ જાવ તો પૂછજો અમારું નામ, અમે બધા ખેડૂતોના દિલ સુધી પહોચ્યા છીએ. કરોડો કિસાનો અમારી સાથે છે. દરેક સાથે સંગઠન ભાવ કેળવીને અમે વિશ્વાસપાત્ર સંગઠન બનાવ્યું છે એ જ અમારી બ્રાન્ડ છે. તેમના વક્તવ્યમાં છેલ્લે તેમણે યુવાનોને શીખ આપતાં કહ્યું કે ઇન્સાનિયત ન ભૂલો, ઇન્સાનિયત માણસનો મોટામાં મોટો ગુણ છે. તે હશે તો બધું સારું જ થશે. ઇન્સાનિયતથી માણસ મોટો થાય છે, પૈસાથી તો માથું મોટું થાય છે રાવણની જેમ. પોતાના વકતવ્ય દ્વારા તેમણે યુવાનોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *