Social Work

સેવાકીય કાર્યમાં રોલમોડેલ ગણી શકાય એવી વ્યવસ્થા પુરી પાડનાર લાલજીદાદાનો વડલો- લાઠીની મુલાકાત સુરતનાં ડોક્ટરો એ લીધી .

સૌરાષ્ટ્ર ની ભૂમિ પર જ્યારે સેવાનાં સાથીની સેવા અવિરતપણે ચાલી રહી છે ત્યારે ખુબજ ગર્વ અને આનંદ થાય એવા સેવાકીય કાર્ય કરતા એક ગામની મુલાકાત થઈ. જે ગામ છે લાઠી. લાઠી વિસ્તારનાં આજુબાજુના તમામ ગામડાઓને લાભ મળી રહે એવા હેતુથી એક ઉત્તમપ્રકાર ની આરોગ્યલક્ષી સેવા સાથેનું ઉત્તમ શિક્ષણ, લાઈબ્રેરી, તમામ પ્રકારનાં ડોક્ટરોની OPD તપાસ, ગામમાં રહેતા વૃધ્ધો માટે જમવા માટે ટિફિન વ્યવસ્થા, ઉનાળાના સમયે છાસ વિતરણ,દર્દીઓ માટે દવાઓ તેમજ નજીકના ગામડાઓ માટે એમ્બ્યુલન્સ ની સુવિધાઓ જેવી તમામ નિઃશુલ્ક સેવાઓ માત્ર ને માત્ર સેવાનાં હેતુથી અહી કરવામાં આવે છે.

લાઠી એ ગુજરાત ને ઘણા બધા ઉદ્યોગકારો આપ્યા છે ત્યારે લાઠી તાલુકાના ધોળકીયા પરિવારનાં મોભી એવા લાલજીદાદાનાં નામથી ચાલતો વડલો નામની સંસ્થા જેનું સંચાલન SRK પરિવારનાં ગોવિંદકાકાનાં વિચારોથી અને આર્થિક સહકારથી ચાલી રહ્યું છે. જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે જે જગ્યા પર માત્ર OPD જ જોવાતી હતી. ત્યાં ઉત્તમ પ્રકારની હોસ્પિટલની સુવિધા ઉભી કરાઇ તેમજ ફૂલ ટાઈમ ડોક્ટર ની ઉપસ્થિતમાં દર્દીઓને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ રહી છે. જો સૌરાષ્ટ્રમાં આ ટાઈપની વિચારસરણી વાળા વ્યક્તિઓ પોતાના ગામમાં આવા સુવિધાયુક્ત કાર્યો કરશે તો આવનારા સમયમાં કોઈપણ મુસીબતોમાં લોકોને તકલીફો નો સામનો નહીં કરવો પડે. લાલજીદાદાનો વડલો નામની સંસ્થા ખરેખર સાચા અર્થમાં જેમ વડલો લોકોને છત્રછાયા અને ઓક્સિજન આપે એવું કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે.

આ સંસ્થા ની ઉત્તમ પ્રકારની સુવિધા જોઈ સુરતથી પધારેલ ડોક્ટર ટીમે આ કાર્યશૈલીની ખાસ નોંધ લીધી અને આ ટીમ સ્તબ્ધ રહી ગઇ હતી કે સૌરાષ્ટ્રમાં પણ આવી ઉત્તમ પ્રકારની સેવાની વ્યવસ્થા થઈ શકે છે. જે શહેરો થી પણ વિશેષ કહી શકાય. આજરોજ અહીં મુલાકાતે આવનાર ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રોનકભાઈ વઘાસિયા એ ત્યાંની વ્યવસ્થાને નિહાળી હતી અને દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતમાં સુરતની સેવા સંસ્થા દ્વારા વતનની વ્હારે અભિયાનમાં મહેશભાઈ સવાણી, મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, પ્રદિપભાઈ લખાણી ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાલજીદાદાનો વડલો તરફથી અશોકભાઈ કથીરિયા એ આ વિશેષ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *